મહર્ષિ વાલ્મીકિ
આદ્યકવિ, રામાયણના રચયિતા, મહર્ષિ વાલ્મીકિ અથવા પ્રાચેતસ એક બ્રાહ્મણને ત્યાં જન્મ્યા હતા; પણ તેનાં માતાપિતા જે તપ કરવા જંગલમાં ગયાં હતાં તેમણે તેને જંગલમાં મૂકી દીધા. પછીથી કોઈ ભીલની દ્રષ્ટિએ તે પડ્યા. તેણે તેને ઉછેર્યો. તે મોટા થયા એટલે તેને ધનુર્વિદ્યામાં નિપુણ બનાવી ભીલ તેની પાસે ચોરીનું કામ કરાવવા લાગ્યો.
સન્માન : આદિ કવિ મહર્ષિ
રામાયણ અને યોગવાસિષ્ઠ ના લેખક
બ્રહ્મજ્ઞાન
એક વખત તે અરણ્યમાં લૂંટને માટે ફરતા હતા ત્યાં એક મહર્ષિને જોઈને તેની પાસે જે હોય તે માગ્યું. ઋષિએ તેને કહ્યું કે, જેને માટે તું પાપ કરે છે તે તારાં સગાંઓને પૂછી આવ કે, તેઓ તારા પાપમાં ભાગીદાર થશે? કુટુંબીઓને પૂછતાં તેઓએ ના કહી. આથી તેને બહુ ખોટું લાગ્યું અને ઋષિને શરણે ગયા. તેથી તે મહર્ષિ તેને રામનામનો જપ કરવાનું કહી અંતર્ધાન પામ્યા.
નામ
મહર્ષિ જતાં તે ત્યાં જ જપ કરતા કરતા એટલા કાળ પર્યંત બેઠા કે, તેના શરીર ઉપર ઉધઈના રાફડા થઈ ગયા. પછી એ જ ઋષિએ આવી તેને એ રાફડામાંથી કાઢયા. રાફડાને સંસ્કૃતમાં વલ્મીક કહે છે તે ઉપરથી તેનું વાલ્મીકિ એવું નામ પડયું. તે પછી તેની ગણના ઋષિમાં થવા લાગી.
સંસ્કૃત આદ્યકવિ
તે તમસા નદીને કાંઠે આશ્રમ કરી રહ્યા. તેના શિષ્યોમાં ભારદ્વાજ ઋષિ મુખ્ય હતા. એક વખત તે નદીએ સ્નાન કરવા ગયેલા. સ્નાન કરતાં કરતાં સામેના વૃક્ષ પર કૌંચ પક્ષીનાં જોડાં ઉપર તેની નજર પડી. એ જોડાંમાંનો નર જે કામાસક્ત બન્યો હતો તેને એક શિકારીએ બાણ વડે વીંધી નાખ્યો. તેથી પાછળ રહેલા પક્ષીને અતિશય શોક થયો. આથી વાલ્મીકિ હૃદયમાં એટલી બધી દયા ઊપજી કે, તેના મુખમાંથી અનુષ્ટુપ છંદોબદ્ધ વાણી નીકળી.
मा निषाद प्रतिष्ठां त्वमगमः शाश्वतीः समाः।
यत्क्रौंचमिथुनादेकम् अवधीः काममोहितम्॥
પાછળથી બ્રહ્મદેવની આજ્ઞા પ્રમાણે પરમેશ્વરના જે નામ વડે પોતે પાવન થયા હતા તેના જ નામ ઉપર શતકોટિ કાવ્ય તેણે રચ્યું. આ પહેલાં કોઈ પણ નિયમિત કાવ્ય હતું જ નહિ. આ કાવ્ય પ્રથમ જ રચાયેલું અને કવિ પણ પહેલા જ હોઈ ને વાલ્મીકિ આદ્યકવિ કહેવાય છે.
સંસ્કૃતના આદિ કવિ વાલ્મીકિએ રામાવતારની સાઠ હજાર વર્ષ પહેલાં જ દિવ્યદ્રષ્ટિથી રામાયણની રચના કરી હતી. તેણે રચેલો ગ્રંથ વાલ્મીકિ રામાયણ આજે પણ સુપ્રસિદ્ધ છે. તે કાવ્યના સુબોધથી લાખો મનુષ્ય સુબુદ્ધિ તથા સુનીતિ શીખ્યા છે અને હજુ પણ એ ગ્રંથનો લાભ લેવાય છે. આ કવિ જેવા સંસ્કૃત ભાષામાં નવ રસમય વર્ણન કરવામાં બીજા થોડા જ કવિ થયા હશે. આ મહર્ષિની પવિત્રતા રામચંદ્રજી પણ જાણતા હતા. વનવાસ દરમિયાન રામ ચિત્રકૂટ ઉપર વાલ્મીકિને આશ્રમે આવી ઘણા દિવસ રહ્યા હતા. વળી ધોબીના વચનથી રામે સીતાને વનમાં મોકલ્યાં ત્યારે વાલ્મીકિ પોતાના ગંગા કિનારા ઉપરના આશ્રમે સીતાને તેડી લાવ્યા હતા. આ ઋષિએ લવ અને કુશને વેદ, ધનુર્વિદ્યા વગેરે શાસ્ત્રનું શિક્ષણ આપ્યું હતું. રામચંદ્રજીનો વાલ્મીકિ ઉપર પૂર્ણ ભાવ હતો તેથી તેમણે તેમની સલાહ લઈ પ્રજાહિતનાં કાર્યો કરેલાં છે.
તેમનું રચેલું "વાલ્મીકી રામાયણ" અને આધ્યાત્મ રામાયણ એટલે કે "યોગ વશિષ્ઠ" સંસ્કૃત ભાષાના સૌથી પ્રાચીન ગ્રંથ માનવામાં આવે છે
જય શ્રી રામ જય ગુરુદેવ