અહિલ્યાબાઈ હોલકર
જન્મ: ૩૧ મે ૧૭૨૫ મૃત્યુ : ૧૩ ઓગસ્ટ ૧૭૯૫
અહિલ્યાબાઈ મરાઠા સામ્રાજ્યના મહારાણી અને સુબેદાર મલ્હારરાવ હોલકરના પુત્ર ખંડેરાવના પત્ની હતાં.
શાસન : ૧ ડિસેમ્બર ૧૭૬૭ – ૧૩ ઓગસ્ટ ૧૭૯૫
રાજ્યાભિષેક : ૧૧ ડિસેમ્બર ૧૭૬૭
પુરોગામી : મલ્હારરાવ હોલકર
અનુગામી : તુકોજીરાવ હોલકર
જન્મ : 31 May 1725 ગ્રામ ચૌંડી , જામખેડ, અહમદનગર, મહારાષ્ટ્ર, ભારત
મૃત્યુ : 13 August 1795 (ઉંમર 70)
જીવનસાથી : ખંડેરાવ હોલકર
વંશજ : માલેરાવ હોલકર (પુત્ર) મુક્તાબાઈ (પુત્રી)
ગૃહ : હોલકર
વંશ : મરાઠા સામ્રાજ્ય
પિતા : માન્કોજી શિંદે
માતા : સુશિલા શિંદે
અહિલ્યાબાઈનો જન્મ ૩૧ મે ૧૭૨૫ના રોજ મહારાષ્ટ્રના હાલના અહમદનગર જિલ્લાના ચૌંડી ગામમાં થયો હતો. તેમના પિતા માન્કોજી શિંદે, બીડ જિલ્લાના ચૌદે ગામના એક આદરણીય ધનગર પરિવારના વંશજ અને પાટિલ (મુખી) હતા. તે સમયમાં સ્ત્રીઓને શિક્ષણ આપવામાં આવતું નહોતું, પરંતુ અહિલ્યાબાઈના પિતાએ તેમને વાંચતાં-લખતાં શીખવ્યું હતુ.
ઇતિહાસના મંચ પર તેમનો પ્રવેશ એક અકસ્માત હતો. મરાઠા પેશવા બાજીરાવ પ્રથમની સેવામાં કમાન્ડર અને માલવા પ્રદેશના સ્વામી મલ્હારરાવ હોલકર પુણે જતા સમયે ચૌંડીમાં રોકાયા હતા અને દંતકથા મુજબ, ગામમાં મંદિરની સેવામાં આઠ વર્ષની અહિલ્યાબાઈને જોઈ હતી. બાળ અહિલ્યાની ધાર્મિકતા અને તેના ચારિત્ર્યને ઓળખીને તેઓ છોકરીને તેમના પુત્ર ખંડેરાવ (૧૭૨૩-૧૭૫૪) માટે દુલ્હન તરીકે હોલકર ક્ષેત્રમાં લઈ આવ્યા. અહિલ્યાબાઈના લગ્ન ખંડેરાવ હોલકર સાથે ૧૭૩૫ માં થયા હતા. ૧૭૪૫માં તેમણે એક પુત્ર માલેરાવને અને ૧૭૪૮માં એક પુત્રી મુક્તાબાઈને જન્મ આપ્યો હતો. માલેરાવ માનસિક રીતે અસ્વસ્થ હતા અને ૧૭૬૭ માં બીમારીથી મૃત્યુ પામ્યા હતા. અહિલ્યાબાઈએ પરંપરાથી વિરુદ્ધ જઈને ડાકુઓને હરાવનાર એક બહાદુર પરંતુ ગરીબ વ્યક્તિ યશવંતરાવ સાથે પોતાની પુત્રીના લગ્ન કરાવ્યા હતા.
શાસન
૧૭૫૪ માં કુમ્હેરની ઘેરાબંધી દરમિયાન તેમના પતિની હત્યા કરવામાં આવી હતી. મુઘલ સમ્રાટ અહમદ શાહ બહાદુરના મીર બક્ષી, અહિલ્યાબાઈના પતિ ખંડેરાવ હોલકરના સમર્થનની વિનંતી પર, તેમના પિતા મલ્હારરાવ હોલકરની સેનામાં, ભરતપુર રાજ્યના જાટ મહારાજા સૂરજમાલના કુમ્હેર કિલ્લાની ઘેરાબંધી કરી હતી, જેમણે મુઘલ સમ્રાટના બળવાખોર વઝીર સફદરજંગનો પક્ષ લીધો હતો. ખંડેરાવ કુમ્હેરની લડાઈમાં ખુલ્લી પાલખી પર તેમના સૈનિકોનું નિરીક્ષણ કરી રહ્યા હતા ત્યારે જાટ સૈન્યના તોપગોળાથી તેમના પર હુમલો કરી તેમને મારી નાખવામાં આવ્યા હતા.
પતિ ખંડેરાવના અવસાન બાદ અહિલ્યાબાઈએ જીવનની તમામ ઇચ્છાઓ છોડી દીધી હતી અને પતિની સાથે તેમની ચિતામાં બળીને સતી થવાનો નિશ્ચય કર્યો હતો પરંતુ તેમના સસરા મલ્હારરાવ હોલકરે તેમને તેમ કરતા અટકાવ્યા હતા.
મલ્હારરાવ હોલકરનું તેમના પુત્ર ખંડેરાવના મૃત્યુના ૧૨ વર્ષ બાદ ૧૭૬૬માં અવસાન થયું હતું. મલ્હારરાવના પૌત્ર અને ખંડેરાવના એકમાત્ર પુત્ર માલેરાવ હોલકર ૧૭૬૬માં અહિલ્યાબાઈની દેખરેખ (રિજન્ટશીપ) હેઠળ ઇન્દોરના શાસક બન્યા હતા, પરંતુ ૫ એપ્રિલ ૧૭૬૭ના રોજ થોડા મહિનામાં જ તેમનું પણ અવસાન થયું હતું. પતિ, સસરા અને પુત્રના મૃત્યુ બાદ અહિલ્યાબાઈ ઇન્દોરના શાસક બન્યા હતા.
અવસાન
અહિલ્યાબાઈનું અવસાન ૧૩ ઓગસ્ટ ૧૭૯૫ના રોજ ૭૦ વર્ષની વયે થયું હતું. તેમના શાસનને ઇન્દોરના ઇતિહાસમાં સુવર્ણયુગ તરીકે યાદ કરવામાં આવે છે. અહિલ્યાબાઈના અવસાન બાદ તેમના ભત્રીજા અને તત્કાલીન કમાન્ડર-ઇન-ચીફ તુકોજી રાવ હોલકર સત્તામાં આવ્યા હતા.
કોટિ વંદન જય માતાજી જય હિન્દ