ઝાલા રાજપૂતોની રાજધાની ૨૩માં ઝલ્લેશ્વર વાઘોજી ભીમદેવજી (વી.સ. ૧૫૨૫ થી ૧૫૪૨) ના સમય માં કુવા (કંકાવટી) હતી.
કંકાવટી ઉપર મહંમદ બેગડો જયારે ચડી આવ્યો ત્યારે બે વાર તેને વાઘોજીએ પરાજીત કર્યો અને ત્યારે બેગડાએ જ્યારે ત્રીજી વખત ચડાઈ કરી અને કુવા ભાંગ્યું ત્યારે વાઘોજીના આઠ રાણીના નેતૃત્વમાં બીજા ૮૦૦થી વધુ મહિલાઓએ પોતાના સ્વમાનના રક્ષણ માટે જલ-જોહર કર્યું અને આ યુદ્ધ માં વાઘોજી સાથે તેમના ઘણા કુવારો કામ આવ્યા.
આ યુદ્ધ માં પાટવી કુંવર રાજોધરજી બચી ગયા અને તેઓ કુવા મુકી પાટણ ગયા. ત્યારે કુવા(કંકાવટી) પૂરું ધ્વસ્ત થયું હતું.
એમ કહેવાય છે કે રાજોધરજીને એક રાત્રે સ્વપ્નમાં ભગવાન શિવજીએ દર્શન આપ્યા અને તેમને ઝાલાવાડ પાછુ ફરવા અને પોતાની રાજધાની સ્થાપવા કહયું.
ત્યારે બીજા દિવસે રાજોધરજી નદીમાં સ્નાન કરતા હતા ત્યારે તેમને નદીમાંથી ત્રિશુલ મળી આવ્યું અને રાત્રે આવેલ સ્વપ્ન સત્ય છે અને ભગવાન શિવજી નો આશીર્વાદ તેમની સાથે છે તેવો વિશ્વાસ આવ્યો અને તેઓ ઝાલાવાડ પાછા ફર્યા.
ઝાલાવાડ પાછા આવી તેમને ભાયાતોને સાથે રાખીને બહારવટુ કર્યું. ત્યારે એક દિવસ ભાયાતો સાથે શિકાર ખેલતી વખતે આજનું જે હળવદ છે ત્યાં રાજોધરજી ના ઘોડાની સામે એક સસલુ થયું અને તે ઘોડાને સસલાએ પાછા પગલા લેવડાવ્યા ત્યારે આ ઘટના જોઈ રાજોધરજીને ઘણી નવાઈ લાગી અને આ વાત તેમને ભાયાતોને કરી અને ચર્ચાના અંતે એ વાત સામે આવી કે આ જમીનનો પ્રભાવ છે જે ત્યાં રહેનાર ને શુરવીર બનાવે છે માટે રાજોધરજી એ પોતાની રાજધાની ત્યાં સ્થાપવાનો નિર્ણય કર્યો.
આમ સમય આવતા વી.સ. ૧૫૪૪ ના મહા વદ તેરશ ના મહાશિવરાત્રિના દિવસે પ્રથમ રાજોધરજી એ વિદ્ધવાન બ્રાહ્મણોની પૂજાવિધિ સાથે પોતાના હસ્તે શરણેશ્વર મહાદેવની સ્થાપના કરી અને ભગવાન શિવજી નો આભાર માનતા પોતાનું રાજ શરણનાથ મહાદેવના શરણમાં ધર્યું અને જેમ મેવાડમાં ત્યાના મહારાણાઓ મેવાડના દિવાન કહેવાય છે અને એકલિંગજી ત્યાના રાજા છે.
એજ રીતે રાજોધરજી એ ભગવાન શિવજી ના ચરણોમાં રાજ ધરી તેઓ તેમના દિવાન(રક્ષક) છે એમ પ્રાર્થના કરી.
શિવજી નો આશીર્વાદ પ્રાપ્ત કરી મહાશિવરાત્રિના દિવસે તેમને હળવદની હળથી પાયો ખોદી સ્થાપના કરી અને હળવદને રાજધાની તરીકે ત્યાં રાજગાદી સ્થાપી અને ૨૪માં ઝલ્લેશ્વર તરીકે ઝલ્લેશ્વર શ્રી શક્તિમંત ઝાલાદિપતિ મહામંડલેશ્વર રાણા શ્રીરાજ રાજોધરજી વાઘોજી સાહેબ , (વી.સ. ૧૫૪૨ થી ૧૫૫૬) ગાદી પર બિરાજમાન થયા.
આમ મહાશિવરાત્રિના પાવન દિવસે હળવદની સ્થાપના થઈ અને હળવદ અસ્તિત્વમાં આવ્યું .
હળવદ ને જયારે(ઈ.સ.૧૯૮૮માં) ૫૦૦ વર્ષ પુરા થયા ત્યારે હળવદ ના તમામ નગરજનો દ્વારા મર્હુમ રાજબાવા શ્રીરાજ મેઘરાજજી ની હાજરી માં સ્થાપના દિવસનો ઉત્સવ માનવા માં આવ્યો હતો.
ત્યારે હવે તારીખ ૨૧મી ને મહાશિવરાત્રિના દિવસે હળવદ નો ૫૩૨મા સ્થાપના દિવસની ઉજવણી ૪૭માં ઝલ્લેશ્વર મહારાજ શ્રીરાજ જયસિંહજી મેઘરાજજી ના શુભઆશિષ અને મહારાજ કુમાર શ્રી સિદ્ધરાજસિંહજી ની હાજરીમાં હળવદ રાજમહેલ ખાતે થવા જઇ રહી છે.